Monday, October 10, 2011


મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.
જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.
કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.
કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.
કાલ સુધી તેં પગ ના વાળ્યો આજે પણ પગ ના વળતો,
બીજું કશું નહીં ભઈલા આ તો વારાફરતી વારી છે.
‘નારાજ’ કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

– ચંદ્રેશ મકવાણા



શિલ્પીની કંડારેલી કૃતિ સમી
તારી આકૃતિને,
અપલક નેત્રે નિરખવા
આ દિલ ઝંખે છે.
તારા પ્રેમને ગઝલમાં વર્ણવવા,
આ દિલ ઝંખે છે.
તારી મધુર યાદોની સ્મૃતિઓનું સ્મારક
બનાવવા, આ દિલ ઝંખે છે.
સ્વપ્નાઓનાં સહિયારા વાવેતરમાં,
તારો સાથ આ દિલ ઝંખે છે.
હૃદયની વાતોને શબ્દોમાં
બયાન કરવા, આ દિલ ઝંખે છે.
દર્દ અને વ્યથા ભરેલી આ દુનિયામાં,
તારી નજરના સ્પર્શ સુખને પામવા.
આ દિલ ઝંખે છે.
પૂરા જીવનની તૃષા છીપાવવા,
તારા પ્રેમનું એક બુંદ પામવા,
આ દિલ ઝંખે છે…

-મિનાઝ વસાયા

No comments:

Post a Comment